શિક્ષણક્ષેત્રે સ્વયંના નવ વર્ષના અનુભવ આધારિત અહેસાસ કર્યો કે બાળકોને કાવ્યો ખૂબ જ પ્રિય હોય છે. બાળકોના જ્ઞાનવર્ધનમાં મનોરંજન માટે અને તેમનામાં મૂલ્યોના વિકાસ માટે કાવ્ય શિક્ષણ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે. સારા કાવ્યો બાળકમાં નવી ચેતના, સ્ફૂર્તિ અને સાહસ ભરી એક નવીન દિશા આપે છે. કાવ્યો બાળકોમાં સ્નેહ, કરુણા, ક્ષમા, સમાનતા અને ભાતૃભાવ જેવા ગુણોનો વિકાસ કરવા માટે પ્રેરક છે.
કાવ્યગાન અથવા કાવ્યપઠન દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ-રુચિ જાગે છે. રસ જાગે તો જ બાળક શિક્ષણ પ્રક્રિયામાં એકાગ્રચિત્ત બને છે. એકાગ્રચિત્ત બાળક જ્ઞાન ઝડપથી તેમજ સરળતાથી પ્રાપ્ત કરે છે અને તે જ્ઞાન બાળકના મસ્તિષ્કમાં ચિરસ્થાયી બની જાય છે. આમ, કાવ્ય અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં અધ્યેતાને સક્રિય બનાવવા તેમજ અધ્યાપકને જ્ઞાન પ્રદાન કરવાની પ્રક્રિયામાં સફળ બનાવવાનો સેતુ બને છે. આ જ્ઞાન અને પ્રેરણાને આધારે 'બાળકાવ્ય' લખવાની અંતઃસ્ફુરણા થઈ અને તેના પરિણામ સ્વરૂપે બાળકાવ્ય સંગ્રહ એવા 'નિર્દોષ છોરાં' ની રચના થઈ.
બાળકોની ઉંમર, રસ, રુચિ તેમજ કાવ્યને સમજવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી 'નિર્દોષ છોરાં' કાવ્યસંગ્રહની રચના કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં પશુ-પંખી, પ્રકૃતિ-ઋતુઓ, શાળા તેમજ રમૂજી અને બાળસહજ સંવેદના આધારિત વિષયોને સાંકળી લેતાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યો તદ્દન સરળ ભાષામાં લખાયેલાં હોવાથી બાળકોને તેનો અર્થ સમજવામાં સરળતા રહેશે. તેમજ બાળકો કાવ્યોનો ભરપૂર આનંદ લેશે અને તેઓના જીવનમાં પણ ઉપયોગી નીવડશે તેવી અપેક્ષાઓ સહ વિશ્વના તમામ બાળદેવો સમક્ષ 'નિર્દોષ છોરાં' બાળકાવ્ય સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યો છું.